હાલમાં સંયુક્તર રાષ્ટ્ર સભાનું મહાસંમેલન ચાલી રહ્યું છે અને દુનિયાના 100થી વધુ સૌથી ઉચ્ચ પદ ધરાવતા નેતા ત્યાં પહોંચ્યા છે જેમાં રાષ્ટ્રપતિ, રાષ્ટ્ર પ્રમુખ, વડા પ્રધાન, ચાન્સેલર જેવા પદ ધરાવતા લોકોનોસમાવેશ થાય છે. આ સભામાં ભાગ લેવા પહોંચેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડેન વચ્ચે મુલાકાત થઇ હતી. તાલિબાનના કારણે સર્જાયેલા નવા સમીકરણ અને જો બાઇડનપ્રમુખ બન્યા પછી ભારતના વડા પ્રધાન સાથે તેમની પહેલી મુલાકાત હોવાથી સમગ્ર વિશ્વની નજર આ મુલાકાત પર હતી તેવા સમયમાં બંને દેશો વચ્ચે પરસ્પર વેપાર અને ક્ષેત્રિય વિકાસની વાતો થઇ છે. આ બધુ તોઠીક છે પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની હાલત દયનીય બની ગઇ છે. સમગ્ર વિશ્વના નેતાઓ વચ્ચે તેઓ એકલા અટૂલા પડી ગયા છે અને તેનું સૌથી મહત્વનું કારણ તાલિબાનપ્રત્યેનું તેમનું વલણ છે.
જેના કારણે એક બે દેશ સિવાયના દુનિયાના કોઇ દેશના નેતા સાથે આંખ કે હાથ મેળવી શકે તેવી સ્થિતિમાં જ નથી. અમેરિકાના પ્રમુખ બાઇડને ભારતના વડા પ્રધાનને મહેમાન બનવા આમંત્રિતકર્યા હતા પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાને સાથે અમેરિકન પ્રમુખે 9 મહિનામાં ફોન પર પણ વાત કરી નથી તે જોઇને જ પાકિસ્તાને સમજી જવું જોઇએ કે આતંકવાદના સમર્થનના કારણે દુનિયામાં તેમની ઠેકડી ઉડી રહી છે.એક તરફ જ્યાં ભારત વેપાર અને વિકાસની વાત કરે છે તો બીજી તરફ પાકિસ્તાની વડા પ્રધાન તાલિબાન જેવા આતંકવાદી સંગઠનના વિકાસની અને તેમને મદદની વાત કરી રહ્યાં છે. આ બંને અંતર પાકિસ્તાનનાતમામ રાજકીય નેતાઓએ સમજી લેવા જોઇએ તેમાં જ તેમનું ભલું છે. હવે દુનિયાના કોઇ નેતા સાથે તેઓ મુલાકાત કરી શકે તેમ નથી અને ભારતના વડા પ્રધાનને હોસ્ટ કરવામાં આવ્યા હતાં જ્યારે તેમને નહીં તેના કારણે તેમણે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં રૂબરૂ જવાના બદલે તેને રેકોર્ડિંગના માધ્યમથી સંબોધી હતી.
જો કે, તેમાં પણ તેમની પાસે કહેવા માટેના નવા કોઇ જ મુદ્દા ન હતાં. તેમણે યુએનમાં મોકલેલા તેમના રેકોર્ડિંગમાંકહ્યું હતું કે, મની લોન્ડરિંગ વિકાસશીલ અને ગરીબ દેશોને નુકસાન પહોંચાડતું હોવાથી તેને રોકવા કડક પગલાં ભરવાં જોઇએ. તેમણે કહ્યું હતું કે, અમેરિકાના ટ્વિન ટાવરના હુમલા પછી દુનિયાભરમાં મુસ્લિમો પરઅત્યાચાર વધ્યો છે તેની સૌથી વધુ અસર ભારતમાં છે અને આરએસએસ અને બીજેપી મુસ્લિમોને નિશાન બનાવી રહ્યાં છે. ભારતે એક પક્ષીય પગલાં લઇને કાશમીર પર બળજબરી કબજો કર્યો છે. ભાજપ કાશમીરીઓ પર દમન કરી રહ્યો છે. તેમણે તાલિબાનોને વિશ્વએ મદદ કરવી જોઇએ તેવી વાત પણ કહી હતી.
જો કે, ઇમરાન ખાનની વાતનો સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના રાજદ્વારી સ્નેહા દુબેએ જડબાતોડ જવાબ આપ્યો હતો. સ્નેહાદુબેએ તેમના સંબોધન વખતે યુએનને કહ્યું હતું કે, જમ્મુ, કાશમીર અને લડાખ ભારતનો અભિન્ન ભાગ છે અને રહેશે. જેમાં પાકિસ્તાનના કબજા હેઠળના ભાગનો પણ સમાવેશ થાય છે જે પાકિસ્તાને તાબડતોબ છોડી દેવો જોઇએ. પાકિસ્તાનની નિતી અને તેમનો ઇતિહાસ આખી દુનિયા જાણે છે કે આતંકવાદીઓને પ્રોત્સાહન આપવામાં અને તેમને મદદ કરવામાં આ દેશ હંમેશા ઉત્સુક રહે છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ મુક્તરીતે ફરે છે અને પાકિસ્તાન ભારત તરફે જુઠાણું ફેલાવવા અને મુખ્યમુદ્દા પરથી વિશ્વનું ધ્યાન હટાવવા વારંવાર આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.