સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર ડિમોલિશન થયા બાદ મૌખિક રીતે સત્તાધીશોએ જમીન ફાળવવાની વાત કરી હતી. જો કે, હજી સુધી જગ્યા ન ફાળવતાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરાયો છે. વરાછા ઝોન આફિસના પાર્કિંગમાં ઉપવાસ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. થોડા દિવસો અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રામદેવપીરનું મંદિર મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠન દ્વારા મંદિર માટે જગ્યાની માંગણી કરવામાં આવી હતી ત્યારે સત્તાધીશો દ્વારા તેને મૌખિક રીતે સ્વીકારીને જમીન આપવાની વાત કરી હતી. જોકે, ઘણા દિવસો વીતી ગયા બાદ પણ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી આ દિશામાં ન થતાં આખરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ દિનેશ અણઘણ દ્વારા વરાછા ઝોન ઓફિસના પાર્કિંગમાં અનશન શરૂ કરાયા હતા. જો કે, પોલીસને જાણ કરાતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
