રાજ્યપાલ સત્યપાલ મલિક કંઈપણ બોલ્યા કરતાં હોય છે. આરએસએસની કોઈપણ વ્યક્તિ આ રીતે ફાઈલ પાસ કરાવવાની વાતમાં સંડોવાયેલી ના હોઈ શકે તેમ આજે સુરતમાં સત્યપાલ મલિકના આક્ષેપોના સંદર્ભમાં આરએસએસના રામ માધવે જણાવ્યું હતું. શનિવારે શહેરમાં ઓરો યુનિવર્સિટીમાં આરએસએસના કાર્યકારિણીના સભ્ય રામ માધવે લખેલી હિન્દુત્વ પૈરાડિયમ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તેઓએ વિશ્વ સામે આવનારા દિવસોમાં કયા પ્રકારના પડકાર છે તેમજ ભારત વિશ્વને કયા પ્રકારે માર્ગદર્શન આપી શકે છે તે અંગે ચર્ચા કરી હતી. હાલમાં મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું હતું. જેના અંગે તેઓ હાલ ખુબ ચર્ચામાં છે. સત્યપાલ મલિકે જણાવ્યું હતું કે, ‘‘અંબાણી અને આરએસએસની ફાઇલ પાસ કરાવવા માટે મને કરોડ રૂપિયાની ઓફર કરી છે. ’’ જે અંગે શહેરમાં આવેલા રામ માધવને સવાલ પુછાતા તેઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી વ્યક્તિ આવી પ્રવૃત્તિઓમાં ક્યારેય સામેલ નથી હોતી. તેમ કહી સત્યમલિકના વિવાદાસ્પદ નિવેદનનું ખંડન કર્યુ હતું. વધુમાં તેઓએ પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન શિક્ષણ નિતી અંગે વાતો કરી હતી. અન જમ્મુ-કશ્મીરની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે અને ત્યાં ઉદ્યોગ ધંધા સારી રીતે ચાલી રહ્યા છે તેમ પણ ઉમેર્યુ હતું.
