ડાંગની એકલવ્ય સ્કૂલમાં ધો. 11ના માત્ર 30 વિદ્યાર્થી

ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ.સી બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની. ડાંગ જિલ્લામાં ધોરણ 11 નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કરાયું છે. તેવામાં ડાંગ જિલ્લામાંથી એસ.એસ.બોર્ડની પરીક્ષા માટે કુલ 3909 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજ્ય સરકારે માસ પ્રમોશન આપતા ડાંગમાં એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં તમામ 3909 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે સરકાર દ્વારા એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દીધું છે. પરંતુ ડાંગમાં ધોરણ 11નાં વર્ગોની ઘટ પડતા વિદ્યાર્થીઓ અટવાયા છે.ડાંગ જિલ્લા શિક્ષણણાધિકારી કચરી પાસેથી મળતી વિગતો મુજબ ડાંગમાં ધોરણ-11ની સામાન્ય પ્રવાહની કુલ 26 ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 37 વર્ગો ચાલે છે. જે 37 વર્ગોમાં 75 વિદ્યાર્થીઓનાં લેખે કુલ 2640 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તથા જિલ્લામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની 10 શાળાઓમાં 10 વર્ગો ચાલે છે. જેમાં 615 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે.

તેવામાં ડાંગમાં એસ.એસ.સી બોર્ડનાં માસ પ્રમોશનમાં 3909 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી ધોરણ 11માં 3255 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો છે. જ્યારે જિલ્લામાં ધોરણ 11નાં 9 વર્ગોની ઘટ નોંધાતા હાલમાં 654 વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બન્યા છે.ડાંગ જિલ્લામાં ધોરણ 11નાં વર્ગોનાં અભાવે પ્રવેશથી વંચિત ગરીબ વિદ્યાર્થીઓ રોજેરોજ પ્રવેશ મેળવવા માટે ધરમનાં ધક્કા ખાઈ રહ્યા છે. જેથી આદિવાસી બાળકોનાં હિત માટે વનબંધુ કલ્યાણનાં વિકાસની વાતો કરતી ભાજપા સરકાર આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી બની ગયુ છે.આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધાઓ મળી રહે તે માટે 8 એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ શાળાઓને શરૂ કરવામાં આવી છે. પરંતુ ડાંગની આ અતિ આધુનિક અને સુવિધા સભર શાળાઓમાં ધોરણ 11નાં માત્ર 4 વર્ગોમાં 30 લેખે 120 બાળકોને જ પ્રવેશ અપાયો છે. ડાંગની સરકારી અને અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ-11માં એક વર્ગમાં 75 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે વનબાંધવોનાં બાળકો માટે નિર્માણ કરાયેલી એકલવ્ય શાળાઓમાં હાલમાં એક વર્ગમાં માત્ર 30 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. એકલવ્ય શાળાઓમાં સ્થાનિક ડાંગનાં બાળકો જ પ્રવેશથી વંચિત રહી જતા વનબાંધવોનો ગતિશીલ શિક્ષણનો વિકાસ નિર્થક સાબિત થવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *