રાજ્યમાં ધીમે કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના નવા કેસોમાં વિસ્ફોટ સર્જાયો હોય તેમ, કેસો વધી રહ્યા છે. જેના પગલે ગુજરાત બહારથી આવતા તમામ લોકોના આરટી- પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યા છે. જેથી ગુજરાતની તમામ સરહદો સીલ કરી ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી વાહનોની લાંબી કતારો જામી હતી.
વધતા જતા કેસોને ધ્યાનમાં લેતાં ગુજરાતને જોડતી તમામ સરહદોને સીલ કરવામાં આવી છે. આજથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતા તમામ લોકોના ટેસ્ટ ફરજીયાત કરાયા છે. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેઓને ગુજરાતમાં એન્ટ્રી આપવામાં આવશે. આજે સવારથી જ ગુજરાતની સરહદો ઉપર આરોગ્ય વિભાગની ટીમ ટેસ્ટિંગના કામે લાગી ગઈ હતી. સાથે પોલીસે પણ યોગ્ય બંદોબસ્ત ગોઠવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગુજરાતમાં પ્રવેશતા તમામ મુસાફરોના થર્મલ સ્ક્રીનીંગ અને એન્ટીજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરી હતી. ઉત્તર ગુજરાતની બનાસકાંઠા ચેકપોસ્ટ, મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લાની ચેકપોસ્ટ તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ખાતેની ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. સવારથી જ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી.