રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી સર્જાયેલી કોરોનાની બીજી લહેર ભયાનક સ્વરૂપ લઇ રહી છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉતર વધારો નોંધાતા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં બેડ ભરાઇ રહ્યાં છે. રાજ્યના કુલ 37 જિલ્લા, મનપા વિસ્તારોમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાંના કુલ 50695 બેડમાંથી 42758 ભરાઇ ગયા છે. હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી કબૂલાત મુજબ અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલોના તમામ એટલે કે, 100% બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જ્યારે બોટાદ, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં અનુક્રમે 95, 99 અને 97% બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આમ પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.
