વલસાડમાં ગણેશ ચતુર્થીના દિવસે એક ઘરમાં એક સાથે 15 જેટલા બ્રહ્મકમળ ખીલેલાં જોવા મળ્યા છે. વલસાડના શ્રોફ ચાલના નાકે આવેલા પુષ્પક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.101 માં રહેતા નિવૃત શિક્ષક અમૃતભાઈ રોણવેલિયા તથા શિક્ષિકા કુમુદબેન રોણવેલિયાના ઘરની બાલ્કનીમાં કુંડામાં ઉગાડવામાં આવેલા બ્રહ્મકમળનાં છોડ ઉપર એક સાથે 15 જેટલા ફૂલો ખીલવા પામ્યા હતા. જે ફૂલોના દર્શન અને તેને નિહાળવા માટે આસપાસના રહીશો રાત્રે જોવા અર્થે આવ્યા હતા. બે દિવસ અગાઉ આજ છોડ પર 4 ફૂલ પણ ખીલ્યા હતા. કહેવાય છે કે, બ્રહ્મ કમળને સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માનું ફૂલ માનવામાં આવે છે. જ્યારે હિમાલયની ઊંચાઈ પર જોવા મળતા આ ફૂલનું પૌરાણિક મહત્વ પણ ઘણું છે. સાથે એવું પણ માનવામાં આવે છે કે, આ ફૂલ પૂર્ણરૂપથી ખીલ્યા બાદ તેના દર્શન માત્રથી મનુષ્યોની દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે.
