રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરના પગલે સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં હવે લગ્ન સમારંભો માટે Digital gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરાયું છે.રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે લગ્ન સમારંભમાં 50 લોકોની જ છૂટ આપવામાં આવી છે. હવે દરેક લગ્ન સમારંભનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ શકશે. તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 20 શહેરોમાં રાત્રે 8 થી 6:00 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.આશિષ ભાટિયાએ વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે રેમડેસિવિર અને ટોસિમીઝુબેમ ઇન્જેક્શન કોઈ એમઆરપી કરતા વધુ ભાવ વેચશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ આવું કરતાં માલુમ પડે તો 100 નંબર ઉપર ફોન કરી તેની જાણ કરી શકે છે. પોલીસ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે.
