સૌરાષ્ટ્રથી કોરોના દર્દીની સેવા કરી સુરત આવતા યુવાનોના અકસ્માતમાં મોત

સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા સુરતના 3 યુવાનની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયનાં ઘટનાસ્થળે મોત

નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

કારચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં ટ્રક સાથે અથડાઈ,કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત

વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં ત્રણ યુવાનનાં સ્થળ પર મોત નીપજ્યાં હતા. કારચાલકને ઝોકું આવી જતાં ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવી
દેતાં કાર ડિવાઇડર કૂદીને રોંગ સાઇડમાં પહોંચી ગઇ હતી અને પસાર થતી ટ્રક સાથે ભટકાઇ હતી. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા.

મળેલી માહિતી પ્રમાણે, વહેલી સવારે સુરત ઓલપાડ રોડ ઉપર આવેલા પરા સુખ મંદિર રો-હાઉસમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પર આવવા નીકળ્યા હતા. દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેમણએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબૂ ગુમાવતાં જ કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી રોંગ સાઇડ પર લીલુડી ધરતી હોટલ પાસેના રોડ ઉપર આવી ગઇ હતી અને એ જ સમયે પૂરપાટ જઇ રહેલી ટ્રક સાથે ધડાકાભેર ભટકાઇ હતી. કાર ટ્રક સાથે ભટકાતાં જ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એમાં સવાર ત્રણે યુવાનોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *