સીબીએસઈ પછી હવે ગુજરાતમાં પણ ધો – 12ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા આજે રદ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. હજુ તો ગઈકાલે જ સરકારે ધો – 12ની પરીક્ષાઓ તા.1લી જુલાઈથી લેવા માટે સરકારે સમગ્ર કાર્યક્રમ પણ જાહેર કરી દીધો હતો. કેબિનેટ બેઠક બાદ રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રિસંહ ચુડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જયારે પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે વિદ્યાર્થીઓના હિતમાં સીબીએસઈ દ્વારા લેવાતી ધો -12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તેને અનુસરીને જ ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધો -12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે હવે ધો -12નુ રિઝલ્ટ અને તેના પછીની પ્રવેશ કાર્યવાહી અંગેની પ્રક્રિયા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બહર પડે તે પછી હાથ ધરાશે . જયારે ધો -10 અને ધો -12ના રિપિટર વિદ્યાર્થીઓ માટે રાજય સરકારે આખરી નિર્ણય લેવાનો બાકી છે. ચુડાસમાએ કહ્યું હતું કે રાજયભરમાં તા.7મી જુનથી શરૂ થઈ રહેલુ નવું શૈક્ષણિક સત્ર ઓન લાઈન જ શરૂ થશે. રાજયના ધો – 12 વિજ્ઞાન પ્રવાહના 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ અને 5,43,000 જેટલા સામાન્ય પ્રવાહના મળીને 6.83 લાખ વિદ્યાર્થીઓને આ રીતે માસ પ્રમોશનનો લાભ મળશે. અગાઉ રાજય સરકારે ધો -10ના વિદ્યાર્થીઓને પણ કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને માસ પ્રમોશન આપ્યું હતું.
