યુપીમાં ત્રણ બાળક હોય તો સરકારની નોકરીમાં પ્રમોશન નહીં મળે

સૂચિત વસ્તી નિયંત્રણ ખરડાના મુસદ્દા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં બે બાળકોની નીતિનો ભંગ કરનાર કોઇ પણ વ્યક્તિને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ લડતા અટકાવવામાં આવશે, તેમને સરકારી નોકરી માટે અરજી કરવા નહીં દેવાય કે સરકારી નોકરીમાં બઢતી નહીં મળે અને કોઇ પણ પ્રકારની સરકારી સબસીડી પણ તેમને પ્રાપ્ત કરવા નહીં દેવાય. ઉત્તર પ્રદેશ રાજ્ય કાયદા પંચ(યુપીએસએલસી) જણાવે છે કે આ જોગવાઇઓ ઉત્તર પ્રદેશ વસ્તી (નિયંત્રણ, સ્થિરતા અને કલ્યાણ) ખરડા, ૨૦૨૧ના ભાગરૂપે છે. યુપીએસએલસીની વેબસાઇટ જણાવે છે કે સ્ટેટ લો કમિશન, યુપી એ રાજ્યની વસ્તીના નિયંત્રણ, સ્થિરતા અને કલ્યાણ માટે કાર્ય કરે છે અને તેણે આ ખરડાનો મુસદ્દો તૈયાર કર્યો છે.

આ સૂચિત ખરડામાં સુધારા માટે જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવાયા છે અને તે માટેની છેલ્લી તારીખ ૧૯ જુલાઇ છે. જો આ ખરડો કાયદો બનશે તો તે પરિણીત યુગલને લાગુ પડશે જ્યાં છોકરાની વય ૨૧ વર્ષથી ઓછી નહીં અને છોકરીની વય ૧૮ વર્ષથી ઓછી નહીં હોય. ઉત્તર પ્રદેશમાં પર્યાવરણીય અને આર્થિક સ્ત્રોતો મર્યાદિત બની ગયા છે તેથી વસ્તી નિયંત્રણની તાકીદની જરૂરિયાત છે એમ આ ખરડાના મુસદ્દામાં કહેવાયું છે. બે બાળકોની નીતિ અપનાવનાર જાહેર સેવકો માટેના પ્રોત્સાહનોની યાદી રજૂ કરતા આ સૂચિત ખરડામાં જણાવાયું છે કે બે બાળકોની નીતિ અપનાવનારા સરકારી નોકરોને તેમની નોકરીના સમગ્ર કાર્યકાળ દરમ્યાન વધારાના બે ઇન્ક્રિમેન્ટ મળશે, મેટરનિટી લીવ અને જે કિસ્સામાં જરૂરી હોય ત્યાં પેટરનિટી લીવ પણ પૂરા પગાર, ભથ્થાઓ સાથે મળશે તથા નેશનલ પેન્શન સ્કીમ હેઠળના નોકરીદાતાના ફાળામાં ત્રણ ટકાનો વધારો અપાશે. આ કાયદાના અમલીકરણના હેતુસર રાજ્ય વસ્તી ભંડોળ રચવામાં આવશે. તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર મેટરનિટી સેન્ટરો રચવામાં આવશે અને તેમના દ્વારા અને એનજીઓ મારફતે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ્, કોન્ડોમ્સ વગેરે વહેંચવામાં આવશે. કોમ્યુનિટી હેલ્થ વર્કરો દ્વારા કુટુંબ કલ્યાણની પદ્ધતિઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે. યુપી વસ્તી નિયંત્રણ ખરડાની વિપક્ષોએ ઝાટકણી કાઢી છે જેમાં સમાજવાદી પાર્ટીએ આ ખરડાને લોકશાહીની હત્યા સમાન ગણાવ્યો છે જ્યારે કોંગ્રેસે તેને રાજકીય એજન્ડા ગણાવ્યો છે.

સપાના વિધાન પાર્ષદ આશુતોષ સિંહાએ કહ્યું હતું કે આ લોકશાહીની હત્યા છે અને યુપી સરકારનો એક અપરિપકવ નિર્ણય છે. જ્યારે યુપી કોંગ્રેસના પ્રવકતા અશોક સિંહે એક હિન્દી ટ્વીટમાં જણાવ્યું છે કે આરએસએસ અને ભાજપના નેતાઓ વધુ બાળકો પેદા કરવાની વાત કરે છે અને યુપી સરકાર આ ખરડો લાવી છે. વસ્તી નિયંત્રણ એ કેન્દ્રનો વિષય છે અને યુપી સરકાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય એજન્ડા તરીકે આ ખરડો લાવી છે એમ કોંગ્રેસ પ્રવકતાએ કહ્યું હતું. ખરડાના મુસદ્દામાં એમ પણ કહેવાયું છે કે રાજ્ય સરકારની એ જવાબદારી છે કે તે શાળાના અભ્યાસક્રમમાં વસ્તી નિયંત્રણની જરૂરીયાત સમજાવાય તેવું પ્રકરણ ઉમેરવાની જોગવાઇ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *