કોરોના મહામારીના પગલે રાજયમાં કેસોમાં ઘટાડો થતાં આગામી તા.26મી જૂનના રોજ સવારે છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ બાદ સરકારે તેમાં કેટલાંક સુધારાઓ કર્યા છે. રાજયમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વિરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરા સહિત ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે. આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મીની લોકડાઉનના નિયંત્રણો મામલે મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં આઠ મહાનગરપાલિકાઓ અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીધામ એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યૂ સહિતના મીની લોકડાઉનના નિયંત્રણો ચાલુ રહેશે. આ18 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ નો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધીનો કરાયો છે. રાજયના આ 18 શહેરોમાં કર્ફ્યૂ આગામી તા.10મી જુલાઈ સુધી લંબાવાયો છે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. આ ૧૮ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે . હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે . લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ અપાઇ છે. સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે . લાયબ્રેરીની ક્ષમતાના ૬૦ ટકાને મંજૂરી અપાઇ છે. GSRTCની બસોમાં ૭૫ ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ છે. પાર્ક-ગાર્ડન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના સીનેમા ઘરો, મલ્ટિપ્લેક્સ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે .
