બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચવાની તૈયારી આદરી દીધી છે. મમતા બેનરજીનો માર્ગ મોકળો કરવા માટે બેઠક પર જીત મેળવનારા ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપધ્યાયે પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમના રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષે તુરત જ સ્વીકાર કરી લીધો છે. મમતા બેનરજીએ કહ્યુ મેં તેમને પુછ્યુ કે તમે જાતે રાજીનામુ આપી રહ્યા છો અને તેમની પર કોઈ દબાણ નથી હવે પેટાચૂંટણીમાં મમતા બેનરજી ઝંપલાવીને વિધાનસભામાં પાંચ વર્ષ માટે પ્રવેશ કરી શકે છે. મમતા બેનરજી અગાઉ પણ ભવાનીપુરથી ચૂંટણી લડતા રહ્યા છે. આ વખતેના રસપ્રદ મુકાબલામાં તેમણે નંદીગ્રામથી ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. નંદીગ્રામમાં તેમનો સામનો એક સમયના જમણા હાથ સમા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સાથે હતો. નંદીગ્રામમાં પરાજય મળવા છતાંય તેઓ મુખ્યમંત્રી બન્યા છે. એથી તેમણે છ માસના સમયગાળામાં વિધાનસભાની સદસ્યતા મેળવવાની રહેશે.
