કોરોના મહામારીની બીજી લહેરથી સ્થિતિ ભયાનક બની ગઇ છે. તમામ સાવચેતીઓ છતાં સંક્રમણના લીધે પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. ચાર દીવાલોમાં રહેતા લોકો પણ કોરોના વાયરસની ઝપટે ચઢી ગયા છે. આ વિષમ પરિસ્થિતિમાં દેશની જેલોમાં બંધ કેદીઓ પણ કોરોનાથી સંક્રમિત થવા માંડયા છે કેટલાક કેદીઓના સંક્રમણના લીધે મોત થયા છે. જો કે સુપ્રીમ કોર્ટ જેલમાં કેદીઓની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને એમની સંખ્યા ઘટાડવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે એના આદેશમાં જણાવ્યું છે કે રાજ્યો એમને ગયા વર્ષે અપાયેલી સૂચનાઓનું પાલન કરે. ગયા વર્ષે જેમને મુક્ત કરાયા હતા એવા કેદીઓને ફરીથી વચગાળા માટે છોડી મૂકવામાં આવે . જેમને પેરોલ મળ્યા હતા એમને ફરીથી 90 દિવસ માટે છોડી મૂકવામાં આવે. કોર્ટ આદેશ કર્યા કે અત્યંત જરૂરી કેસમાં જ આરોપીની અટકાયત કરવી જોઇએ. સુપ્રીમ કોર્ટ ગત વર્ષ નિમાયેલી સમિતિને જણાવ્યું છે કે શરતોને આધીન રહીને જેમનો છૂટકારો કરી શકાય એમ હોય એવા નવા કેદીઓની મુક્તિ બાબત પણ વિચાર કરવામાં આવે. જેલોમાં કેદીઓ સંક્રમિત થયા પછી મોતને ભેટવા લાગતા સુપ્રીમ કોર્ટે આપમેળે જ નોંધ લીધી હતી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી રમન્નાએ સુંનાવણી દરમિયાન જણાવ્યું કે અત્યારે સ્થિતિ અત્યંત ભયાનક છે. અગાઉ કરતાં, કોરોનાની આ વખતની (બીજી) લહેર વધુ હેરાન કરનારી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષ પણ કેટલીક ખાસ કેટેગરીના કેદીઓને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો.
