ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિની આજે મંગળવારે અ’મંગળ’ બદલી થઈ છે. તેઓને તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિવ તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ તરીકેની જવાબદારી નિભાવનાર જયંતી રવિ અનેક વિવાદોમાં રહ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાંની સાથે જ એકાએક તેમની બદલી થતાં સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતમાં કોરોના શરૂ થતાંની સાથે જ આરોગ્ય અગ્ર સચિવ તરીકે જયંતી રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી હતી. ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર દમિયાન પણ ગુજરાતનું આરોગ્યતંત્ર નિષ્ફળ ગયું હોવાનું બુમરાણ મચી ગયું હતું, જ્યારે બીજી લહેર દરમિયાન ઓક્સિજન અને ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડતાં રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
